- ડાંગી આદિવાસીઓમાં ડુંગરદેવનું ઘણું મહત્વ
- માગસર પુનમ પહેલાના ૧૫ થી ૨૦ દિવસના ગાળામાં પૂજા થાય છે
- ભાયા નાચ વખતે પાવરી વાગે અને ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય
ડાંગ જિલ્લામાં ડુંગર દેવની ઉજવણી, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે મહત્વની પુંજા વિધિ ખાસ કરીને દક્ષિણ ગુજરાત ના એકમાત્ર ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પુંજા અર્ચના કરી હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે…ડાંગ માં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજેય જીવંત છે. વર્ષોથી ચાલી આવતી ડુંગર દેવની પારંપરિક પુંજા પ્રથા ને આદિવાસીઓએ ટકાવી રાખી છે. ડાંગ જિલ્લાનાં આદિવાસીઓમાં ડુંગર દેવની પૂજા આખા વર્ષ દરમિયાનની મહત્વની પૂજા હોય છે. જેમાં માગસર પુનમ પહેલા 15 થી 20 દિવસના ગાળામાં પૂજા કરવામાં આવે છે. પૂજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે.
ધન દોલત, ધાન્ય સારું હોય તે વ્યક્તિ પ્રસન્ન થઈ ફક્ત દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા રાખે છે. અથવા ડુંગરદેવ રાખનારના ઘરે કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપી હોય એવું ભગત દ્વારા બતાવવામાં આવે ત્યારે ભાયા રાખવામાં આવે છે.ડુંગર દેવને પ્રસન્ન રાખવા માટે ભાયા રાખવામાં આવે છે. ભાયા કરવા માટે ડુંગરદેવનો પુજારી હોય છે. ડુંગરની સ્થાપના જે ઘરે હોય ત્યાં આ ભાયા રહે છે. તેને ડાંગી ભાષામાં શિરભાયા કહે છે. ડુંગર દેવની પૂજા કરનાર ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવું પડે છે. તેમજ દિવસમાં એક વાર જમવાનું હોય છે. મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું, કૂદવાનું હોય છે. વારા આવવાનું પ્રમાણ વધી જાય તો આખી રાત પણ ભાયાને જાગતા રહેવું પડે છે. વાર આવેલા ભક્તોની સારવાર પણ એમણે જ કરવી પડે છે. ભાયા વખતે ભગવતો ધૂણે છે. તેને ડાંગી ભાષામાં વારો આવે એમ કહેવામાં આવે છે. વારો આવતાં જ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. જેને વારો આવ્યો હોય તે ડુંગરદેવના નામે રોપેલા સ્થભ પાસે જઈને ગોળ ફરતાં નાચવા લાગે છે. જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે. તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે. આને ડાંગી ભાષામાં સુડ પડ્યો એમ કહેવામાં આવે છે. ભાયા કાર્યક્રમમાં ડુંગરદેવના નામથી નારા બોલાવવામાં આવે છે. જેને ભૂતનો વારો આવે અગ્નિદેવનો વારો આવે તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે. અંગારા પર નાચે છે. આ વખતે અમને ભાન નથી હોતું. અંગારા તેના પર કોઈ અસર કરતા નથી. આ પૂજામાં જેમણે ભાગ લેવો હોય તેમણે સ્નાન કરવું જ પડે છે. વારો આવે ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ કરવું પડે છે. ભાયા નાચ વખતે પાવરી વાગે છે. અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે. ડુંગરદેવની રમત ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતી નથી.
આ રમત રમવા માટે બહાર ગામથી કેટલાય ભગતો આવે છે. જેને પવન આવતો હોય એવા રમતવીરો પણ ભાયા રમવા આવે છે. ભાયાની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયાએ સવારે વહેલા ઉઠી નદીએ ઠંડા પાણીમાં સ્નાન કરવા જવાનું હોય છે. ત્યાર પછી બીજા ગામમાં આ રમત રમવા જવાનું હોય છે. બીજા ગામે જ્યારે ભાયા જાય છે. ત્યારે તેઓ ઘરે ઘરે જઈને નાચે છે. ગીતો ગાય છે. ત્યારે તેમને નવું અનાજ આપવામાં આવે છે. નવા અનાજ પર ભગતની બરકત ઉતારવામાં આવે છે. ભાયા ગામે ગામ ફરીને ડુંગર ઉપર જાય છે. ત્યાં માવલી હોય છે. આ માવલીના નજીક આખી રાત માયા નૃત્ય થાય છે. ગિરિમથક સાપુતારા નવાગામ મા ભાયા કાર્યક્રમ પાંચ અથવા દશ વર્ષમાં પરિવાર સાથે મળીને આ કાર્યક્રમ ફરજીયાત પણે કરવાનો હોય છે. દેવી દેવતાઓને ખુશ રાખવાની સાથે ઘરપરિવાર ગામ વગેરેની સુખ શાંતિ માટે ભાયા કાર્યક્રમ અત્યંત મહત્વનાં હોય છે.
ડાંગી આદિવાસીઓમાં ડુંગરદેવનું મહત્વ ઘણું છે. ડુંગરદેવ બે રીતે કરવામાં આવે છે. એક તો ડુંગરદેવ રાખનારના ઘરે કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપી હોય એવું ભગત દ્વારા બતાવવામાં આવે ત્યારે, બીજું ઘરમાં ધન-દોલત અનાજ-પાણી સારું હોય ત્યારે પ્રસન્ન થઈ તે વ્યક્તિ ફક્ત દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા રાખે છે. કોટબા ગામના જિલ્લા પંચાયત માં ઉપપ્રમુખ અને ગામ ના મોભી એવા ભરતભાઈ બી. ભોંયે જણાવે છે કે ડુંગર દેવની પુંજા વર્ષોથી પારંપરિક રીતના ચાલી આવી છે. ઘરમાં દેવીનો પ્રકોપ હોય તો દેવીને ખુશ રાખવાં માટે ફરજીયાત ભાયા કાર્યક્રમ રાખવાં જ પડે છે જેથી દેવી ( માવલી ) નાં બરકત થી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેમજ ઘર પરિવાર અને પશુઓ વ્યવસ્થિત રહી શકે.ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા અત્યંત મહત્વની પૂજા ગણાય છે. આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે છે. જ્યારે ભાયા થાય છે. ત્યારે સ્ત્રીઓ દીવા લઈને તેમની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે. ભાયા કાર્યક્રમએ ડાંગી આદિવાસીઓ માટે ડુંગરદેવની શ્રદ્ધાનો કાર્યક્રમ છે. ભાયા કાર્યક્રમમાં આખું ગામ ડુંગર દેવની પુંજા વખતે ભક્તિમય બની જાય છે.
રમેશ ખંભાતી, ડાંગ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.